સુરતના નાસીર નગરમાં નકલી ડિમોલિશન મામલે આવેદન પત્ર
અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસ પોલીસ કમિશ્નર કચેરીએ
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી
સુરતના નાસીર નગરમાં થયેલા કથિત નકલી ડિમોલિશન મામલે રાજકીય ગરમાવો આવ્યો હોય તેમ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સુરતના ચકચારીત નાસીરનગરમાં થયેલા કથિત ડિમોલિશનને નવ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ડિમોલિશન કોના આદેશથી અને કોના દ્વારા કરવામાં આવ્યું તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. કોંગ્રેસ અને અસરગ્રસ્ત પરિવારોનો આક્ષેપ છે કે લગભગ 100 જેટલા પરિવારોને બળજબરીપૂર્વક સ્થળ ખાલી કરાવી તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી આ વિસ્તારમાં સ્થાયી રીતે વસવાટ કરતા હતા. તેમ છતાં પોલીસ અને પાલિકા તંત્રએ દબાણ ઊભું કરી પરિવારોને સ્થળ ખાલી કરાવ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારો બેઘર બન્યા હોવા છતાં તેમની માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
કોંગ્રેસના નેતાઓએ આ સમગ્ર ઘટનામાં બિલ્ડરના ઈશારે પોલીસ અને પાલિકાના કેટલાક અધિકારીઓએ હાથ કાળા કર્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ મામલે પાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ શરૂ કરવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.
