યુક્રેનમાં ફસાયેલા મોરબીના સાહિલ માજોઠીનો મામલો
વકીલ દીપા જોસેફનો વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો
રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા મોરબીના સાહિલ માજોઠીની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટના વકીલ દીપા જોસેફે એક વીડિયો સંદેશ દ્વારા ચેતવણી આપી છે કે જો સાહિલનું નામ યુદ્ધ કેદીઓના ટ્રાન્સફર લિસ્ટમાં રશિયાને સોંપવામાં આવશે, તો તે ક્યારેય ભારત પરત ફરી શકશે નહીં અને તેના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થઈ શકે છે. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી વર્ષ 2024માં અભ્યાસ માટે રશિયા ગયો હતો. ત્યાં અભ્યાસની સાથે તે પાર્ટ-ટાઈમ કુરિયર સર્વિસનું કામ કરતો હતો. આ દરમિયાન ડ્રગ્સ ધરાવતા એક પાર્સલના કેસમાં રશિયન પોલીસે તેની ધરપકડ કરી હતી. સાહિલે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી પાર્સલના સ્ત્રોત વિશે માહિતી આપી હોવા છતાં, રશિયન અદાલતે તેને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી.
રશિયાની જેલમાં સજા કાપી રહેલા સાહિલને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે વિવિધ પ્રલોભનો આપવામાં આવ્યા હતા. તેને ટેકનિકલ કામ સોંપવાની ખાતરી આપી યુક્રેન બોર્ડર પર મોકલવામાં આવ્યો હતો. જોકે, યુદ્ધમાં જોડાવાને બદલે સાહિલે યુક્રેન સરહદ પર આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારથી તેને યુક્રેનના કિવ ખાતે આવેલા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. સાહિલનો યુક્રેનથી વીડિયો સામે આવ્યા બાદ તેની માતા હસીનાબેન અને પરિવારજનોએ તેને પરત લાવવા ગુજરાત અને ભારત સરકારમાં અનેક રજૂઆતો કરી છે. હાલ આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે, ત્યારે વકીલની આ તાજેતરની ચેતવણીએ પરિવારની ચિંતામાં વધારો કર્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
