સુરત સરથાણામાં ફરી ઝઘન્ય ઘટના બની
57 વર્ષિય આધેડનો 6 વર્ષની માસુમ બાળા પર બળાત્કાર
આરોપી વિનોદ અણઘણ સામે બળાત્કારનો ગુનો
સુરતમાં ફરી ઝઘન્ય ઘટના બની છે જેમાં 57 વર્ષિય આધેડએ 6 વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારતા પોલીસે નરાધમ આધેડની ધરપકડ કરી છે.
સુરતની સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ 11 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યાના અસરામાં પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની નીચે રમાડવા માટે લઈ ગયા હતા. આ દરમિયાન માસૂમ પૌત્ર રડવા લાગ્યો હતો જેથી તેના દાદા તેને ઘરે મૂકવા માટે જતા હતાં. આ સમયે જ તેમના ઘર પાસે આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓ વેચવાની દુકાન ધરાવતા વિનોદ મોહનભાઈ અણઘણએ દાદાને પોતાની વાતોમાં ભોળવ્યા હતા અને તેની છ વર્ષની દીકરીને દુકાને બેસાડી તેમના પુત્રને ઘરે મૂકવા જવા માટે જણાવ્યું હતું. જેથી વૃદ્ધ દાદાએ તેમની વાતમાં આવી જઈ છ વર્ષની દીકરીને વિનોદભાઈની દુકાનમાં બેસાડી હતી. દાદા તેમના પુત્રને ઘરે મુકવા માટે ગયા તે દરમિયાન વિનોદે પોતાની હવસ સંતોષવા માટે માત્ર છ વર્ષની માસૂમ બાળકીને શિકાર બનાવી હતી અને દુકાનની અંદર જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, ત્યાર બાદ બાળકીએ સઘળી હકીકત દાદાને અને પરિવારને જણાવી હતી. હકીકત સાંભળતાની સાથે જ પરિવારના પગ તળે જમીન ખસી ગઈ હતી. બનાવને પગલે ભોગ બનનાર માસૂમ બાળકીના પરિવારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિનોદ અણઘણ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
