સુરતમાં પાકિસ્તાન મુર્દાબાદનું સ્ટીકર લગાડવામાં આવ્યું
પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે દેશભરમાં રોષ
લોકો આંતકવાદ અને પાકિસ્તાન સામે વિરોધ નોંધાવી રહ્યાં
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો કેન્ડલ માર્ચની સાથે બેનરો-પોસ્ટરો સાથે આંતકવાદ અને પાકિસ્તાન સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે આજે સુરત સિવિલ હોસ્પિટલથી સોસ્યો સર્કલ તરફના રસ્તે ગૌશાળાની સામે હિંદુ સંગઠન દ્વારા પાકિસ્તાન મુર્દાબાદનું સ્ટીકર લગાડવામાં આવ્યું છે. લોકો તેના પરથી ચાલી અને વાહનો ચલાવી પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે.
સુરતના સિવિલ હોસ્પિટલથી સોસ્યો સર્કલ તરફ જવાના રસ્તા ઉપર આવેલી ગૌશાળાની સામે કેટલાક હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતાં. એટલું જ નહીં, યુવકો દ્વારા રસ્તા ઉપર જ પાકિસ્તાની ધ્વજનું મોટું સ્ટીકર લગાડી દેવામાં આવ્યું હતું, જેથી કરીને તમામ લોકો તેના ઉપરથી ચાલીને જાય છે. આ સાથે રસ્તા ઉપરથી ગાડી પણ ફરી રહી છે. એક પ્રકારે પાકિસ્તાન સામેનો જે રોષ છે તે પ્રગટ કરવામાં આવી રહ્યો છે. યુવકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને રસ્તા ઉપર મસમોટું સ્ટીકર લગાડીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની લાગણી ઉચ્ચારી હતી. સુરત શહેર બજરંગ દળના પૂર્વ પ્રમુખ દેવીપ્રસાદ ડુબેએ જણાવ્યું કે, પાકિસ્તાનને ફરી એક વખત કાયરતા પૂર્ણ હરકત કરી છે. મોદી સરકાર તેનો જવાબ તો આપશે, પરંતુ આ ઘટનાને લઈને ફરી એક વખત પાકિસ્તાન પ્રત્યેની નફરત વધી ગઈ છે. અમે તેના રાષ્ટ્રીય ધ્વજને રસ્તા ઉપર લગાવી દીધો છે. અમારી લાગણી હતી કે, પાકિસ્તાનને તેની ઓકાત બતાવી જોઈએ અને તેનું જ્યાં સ્થાન છે ત્યાં તેને મૂકવો જોઈએ. આગામી દિવસોમાં પાકિસ્તાન સામે ખૂબ જ ઉગ્ર વિરોધ નોંધાવાના છે અને તેના માટે કાર્યક્રમ પણ આપવાના છે.