ભાવનગરમાં અશાંતધારાનો ભંગ કરનાર બે શખ્સો સામે ગંગાજળિયા પોલીસમાં ગુનો નોંધાયો.
જૂની માણેકવાડી વિસ્તારમાં કલેક્ટરની મંજૂરી વિના મિલકત વેચાણનો મામલો સામે આવ્યો.
ગુજરાતમાં અશાંતધારા ભંગનો ત્રીજો અને ભાવનગર જિલ્લાનો બીજો ગુનો નોંધાયો.
ભાવનગર શહેરમાં અશાંતધારાના કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જૂની માણેકવાડી વિસ્તારમાં આવેલી એક મિલકત કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે વેચી દેવાતા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યનો આ ત્રીજો અને ભાવનગર જિલ્લાનો આ પ્રકારનો બીજો ગુનો નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના વોર્ડ નં. ૫, શીટ નં. ૧૩૫, સીટી સર્વે નં. ૪૨૮૧, ૪૨૮૨ વાળી જૂની માણેકવાડી વિસ્તારમાં પ્લોટ નં. ૫૮ માં આવેલ ‘સુરભી એપાર્ટમેન્ટ’ના ત્રીજા માળે ફ્લેટ નં. બી-૧૦ આવેલો છે. આ મિલકત અશાંતધારા હેઠળ આવતી હોવા છતાં, તેના માલિકે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. મિલકતના માલિકે ગુજરાત અશાંતધારા વિસ્તારમાં તબદીલ અધિનિયમ-૧૯૯૧ હેઠળ જિલ્લા કલેક્ટરશ્રીની જરૂરી મંજૂરી મેળવ્યા વિના જ આ ફ્લેટ અન્ય વ્યક્તિને રૂ. ૩૩,૦૦,૦૦૦/- (તેત્રીસ લાખ) માં વેચી દીધો હતો. આ ગેરકાયદેસર ખરીદ-વેચાણ અંગે સીટી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ (વિદ્યાનગર, ભાવનગર) કે.બી. ચાંદલીયા દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ ગુનામાં મિલકત વેચનાર અને ખરીદનાર બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે જેમાં ચંદ્રકાન્તભાઈ ભગવાનદાસ લંગાળીયા (રહે. બેંક કોલોની, સુભાષનગર, ભાવનગર) – (મકાન વેચનાર) તથા જીલાનીભાઈ સલીમભાઈ ધોળીયા (રહે. જૂની માણેકવાડી, ભાવનગર) – (મકાન ખરીદનાર) બને ને ઝડપી લીધા હતા. પોલીસની કામગીરી ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક ડો. નીતેશ પાંડેય અને નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘાલના માર્ગદર્શન હેઠળ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. કુરેશી તથા પો.સબ.ઇન્સ. એચ.પી. બારડ અને પોલીસ સ્ટાફે આ પ્રશંસનીય કામગીરી કરી છે.
