વરાછાના ગેરકાયદેસર દબાણ મુદ્દે કાવ્યા પટેલે મનપા કમિશનરને પત્ર લખ્યો
ધારુકા કોલેજથી ચીકુવાડી સુધી લારીઓના દબાણ સામે કાર્યવાહી કરવાની માંગ
ગેરકાયદેસર દબાણથી ટ્રાફિક જામ અને ઈમરજન્સી વાહનોને અવરોધ
દરરોજ લાખો લોકોને દબાણના કારણે હાલાકીનો સામનો
સુરતમાં ગેરકાયદે દબાણોને લઈ વરાછાના કોર્પોરેટર કાવ્યા પટેલે મનપા કમિશનરને પત્ર લખી પાલિકાના દબાણ ખાતાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતાં.
સુરતમાં દબાણોને લઈ કોર્પોરેટર કાવ્યા પટેલે પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે. અને જણાવ્યુ હતું કે વરાછા રોડ પર ધારુકા કોલેજથી ચીકુવાડી સુધી ગેરકાયદેસર ફ્રુટ અને શાકભાજીની લારીઓના વધતા દબાણને લઈને નારાજગી વ્યક્ત કરી છે. કાવ્યા પટેલે જણાવ્યુ હતું કે માત્ર વરાછા જ નહીં પરંતુ સુરતના અનેક વિસ્તારોમાં દબાણની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ગેરકાયદેસર દબાણોના કારણે રસ્તાઓ સાંકડા બની રહ્યા છે, જેના કારણે સતત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. એટલું જ નહીં, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનોની અવરજવરમાં પણ ગંભીર અવરોધ ઊભો થઈ રહ્યો છે. દરરોજ અંદાજે 10 લાખ લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. કાવ્યા પટેલે પાલિકા કમિશનરને લખેલા પત્રમાં સમગ્ર વરાછા વિસ્તારમાં વિશેષ ઝુંબેશ ચલાવી તમામ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ કરી છે. સાથે ટ્રાફિક પોલીસ અને ઝોન અધિકારીઓ સાથે સંકલન કરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત પણ કરી છે.
