મૈયરમાં મનડું નથી લાગતું’ 25 વર્ષ બાદ ફરી રિલીઝ
ફિલ્મના મુખ્ય કલાકાર અભિનેતા હિતેન કુમાર સુરતની મુલાકાતે આવ્યા
“12મી સપ્ટેમ્બર, 2025ના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં રી-રિલીઝ થશે
સુરત.ગુજરાતી સિનેમાની ઐતિહાસિક અને દર્શકોના દિલમાં વસેલી ફિલ્મ “મૈયારમાં મનડું નથી લાગતું” 25 વર્ષ બાદ નવા રૂપ-રંગ સાથે ફરી એકવાર સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. જશવંત ગાંગાણી દ્વારા નિર્મિત અને
દિગ્દર્શિત બ્લોક બ્લાસ્ટર ફિલ્મ ” મૈયરમાં મનડું નથી લાગતું “12મી સપ્ટેમ્બર, 2025ના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં રી-રિલીઝ થશે, જે ગુજરાતી સંસ્કૃતિ, લાગણીઓ અને સંયુક્ત પરિવારની ભાવનાઓથી ભરપૂર એક અનુભવ લઈને આવશે. આજે, ફિલ્મના મુખ્ય અભિનેતા હિતેન કુમાર સુરતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે મીડિયા સાથે ફિલ્મ વિશે રસપ્રદ વાતચીત કરી. હિતેન કુમારે જણાવ્યું, “મૈયરમાં મનડું નથી લાગતું એક એવી ફિલ્મ છે જે ગુજરાતી સંસ્કૃતિ અને પારિવારિક લાગણીઓનું સુંદર રીતે નિરૂપણ કરે છે. આજના સમયમાં, જ્યારે લોકો વિભક્ત થઈ રહ્યા છે, ત્યારે આવી પારિવારિક ફિલ્મની ઝંખના દર્શકોમાં વધી રહી છે. અમને ખૂબ આનંદ છે કે આ ફિલ્મ ફરી એકવાર સિનેમાઘરો થકી દર્શકો સુધી પહોંચશે.” ફિલ્મની મૂળ વાર્તામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને આધુનિક રૂપ-રંગમાં રજૂ કરવામાં આવી છે, જેથી દર્શકોને એક નવો અનુભવ મળે. 25 વર્ષ અગાઉ 2000માં રિલીઝ થયેલી આ ફિલ્મે ગુજરાતમાં ઐતિહાસિક સફળતા મેળવી હતી, જે સતત 52 અઠવાડિયા સુધી હાઉસફુલ ચાલી હતી. દર્શકોના ઉત્સાહને કારણે ઘણી જગ્યાએ લાઠીચાર્જ જેવી ઘટનાઓ પણ બની હતી, જે આ ફિલ્મની લોકપ્રિયતાને દર્શાવે છે.આ રી-રિલીઝ ગુજરાતી દર્શકો માટે એક નોસ્ટાલ્જિક અને ભાવનાત્મક અનુભવ લઈને આવશે. 12મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા માટે તૈયાર રહો અને ફરી એકવાર ગુજરાતી સંસ્કૃતિના આ અનોખા રંગમાં રંગાઈ જાઓ!
