સુરત વરાછાની ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર એલર્ટ
મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી
મોટી માત્રામાં અખાદ્ય અને શંકાસ્પદ જથ્થો મળી આવ્યો
સુરત વરાછાની ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસ યથાવત છે. શહેરમાં અલગ-અલગ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં મોટી માત્રામાં અખાદ્ય અને શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે.
વરાછામાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ સુરત તંત્ર દ્વારા મીઠાઈ વિક્રેતાઓ સામે તપાસનો ધમધમાટ યથાવત રાખવામાં આવ્યો છે. શહેરમાં વધુ 12 જેટલા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અંદાજે 77 હજારની કિંમતનો 420 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 40,800ની કિંમતનો 170 કિલો શંકાસ્પદ જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ 20 ઓગસ્ટના રોજ દૂધના માવાના કુલ 16 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં કોટસફિલ રોડ સ્થિત નંદકિશોર એસ. માવાવાળા અને ખટોદરા સ્થિત જય માં વૈષ્ણવી સ્વીટમાંથી લેવાયેલા નમૂના સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે.
બંને સંસ્થાઓ સામે ફૂડ એડજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. વરાછામાં ફૂડ પોઈઝનિંગની ઘટનાને પગલે તંત્ર દ્વારા શહેરમાં મીઠાઈ અને ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે સતત તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
