નવસારી સબજેલમાં રક્ષાબંધન નિમિતે હૃદયસ્પર્શી દ્રશ્યો
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહનું પ્રતીક એટલે રક્ષાબંધન
ભાઈને જોતાં જ બહેનની આંખો છલકાઈ ગઈ
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહનું પ્રતીક એટલે રક્ષાબંધન. એક એવો પવિત્ર દિવસ જ્યારે બહેન ભાઈના દીર્ઘાયુની કામના કરે છે અને ભાઈ આજીવન રક્ષાનું વચન આપે છે. પરંતુ, જેલના સળિયા પાછળ આ તહેવાર માત્ર ઉત્સાહનો નથી રહેતો, આંસુ અને પસ્તાવાનો પણ બની જાય છે. નવસારી સબજેલમાં આજે કંઈક આવા જ હૃદયસ્પર્શી દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ભાઈને જોતાં જ બહેનની આંખો છલકાઈ ગઈ અને એક જ આશા વ્યક્ત થઈ
સમાજના મુખ્ય પ્રવાહથી દૂર, પોતાના ભૂતકાળના કર્મોની સજા ભોગવી રહેલા કેદીઓ માટે આજનો દિવસ લાગણીઓનો મહાસાગર બની રહ્યો. નવસારીના જુનાથાણા વિસ્તારમાં આવેલી સબજેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. સવારે 8:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી જેલ પ્રશાસન દ્વારા બહેનો માટે રાખડી બાંધવાની વિશેષ છૂટ આપવામાં આવી હતી. હાથમાં પૂજાની થાળી, મોં મીઠું કરાવવાની મીઠાઈ અને આંખોમાં અશ્રુ સાથે જ્યારે બહેનોએ પોતાના લાડકવાયા ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યું, ત્યારે સમગ્ર જેલ પરિસર લાગણીસભર બની ગયું હતું.
નવસારી સબજેલમાં કાચા અને પાકા કામના તેમજ મહિલા કેદીઓ મળીને કુલ 360 જેટલા કેદીઓ સજા કાપી રહ્યા છે, જેમણે આજે પોતાના પરિવારજનો સાથે આ પવિત્ર પર્વ મનાવ્યો છે,જેલ પ્રશાસન દ્વારા મુલાકાતીઓ માટે પૂરતી સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ડીજી ડૉ. કે.એન.એન. રાવના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેદીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનો અને તેમને સમાજના મુખ્ય પ્રવાહ તરફ વાળવાનો રહ્યો.રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર જેલના સળિયા પાછળ બંધ કેદીઓ માટે માત્ર એક મુલાકાત નહીં, પણ નવી શરૂઆત અને પસ્તાવાની એક નવી દિશા બની ગયો.
