સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડો. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસ
રેગિંગ અને માનસિક ત્રાસને કારણે તબીબે આત્મહત્યા કરી
4 સીનિયર ડોક્ટરો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ ડો. હર્ષ પંડ્યાની આત્મહત્યાના કેસમાં રેગિંગ અને માનસિક ત્રાસને કારણે તબીબે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયા બાદ હોસ્પિટલની રેગિંગ કમિટીની તપાસ બાદ ખટોદરા પોલીસ મથકમાં 4 સીનિયર ડોક્ટરો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. હર્ષ પંડ્યાની આત્મહત્યાના મામલે ખટોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રેગિંગ કમિટી અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફર્સ્ટ યરના 10 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોને સીનિયર ડોક્ટરો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પોલીસમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ, લેબમાં જુનિયર તબીબોને સાંજના સમયે બોલાવીને અપશબ્દો બોલી, કામ ન આવડતું હોવાનું કહી અપમાનિત કરવામાં આવતા હતા.
છેલ્લા એક મહિનાથી આ પ્રકારનું રેગિંગ ચાલી રહ્યું હતું, જેના તણાવમાં આવીને ડો. હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી લીધી હતી. રેગિંગ કમિટીના રિપોર્ટના આધારે મહિલા ડોક્ટરો સહિત 4 ડોક્ટરો જેમાં ડો. વસાવા નિરાલીબેન, ડો. અનુજ મહેશ્વરી, ડો. દિશિતાબેન ઘેવરિયા અને ડો. હીનાબેન ભૂત વિરૂદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે જે અંગે એસીપીએ માહિતી આપી હતી.
