જૂના સુરતમાં હિન્દુઓની હિજરતનો મુદ્દો ફરી ગરમાયો
ગોપીપુરા સહિતના વિસ્તારોમાં અશાંતધારા કાયદાનું કડક પાલન
સાધુ-સંતોનું પ્રતિનિધિમંડળ જિલ્લા કલેક્ટરને રજૂઆત
જૂના સુરતમાં હિન્દુઓની હિજરતનો મુદ્દો ફરી ગરમાયો હોય તેમ ગોપીપુરા સહિતના વિસ્તારોમાં અશાંતધારા કાયદાનું કડક પાલન કરાવવાની માંગ સાથે સાધુ-સંતોનું પ્રતિનિધિમંડળ જિલ્લા કલેક્ટરને મળી જૂની સંસ્કૃતિ બચાવવા અને કથિત ગેરરીતિઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સુરતના જૂના શહેરમાંથી હિન્દુ અને જૈન પરિવારોની કથિત હિજરતના મુદ્દે હવે સાધુ-સંતો મેદાનમાં આવ્યા છે. ગોપીપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં અશાંતધારા કાયદાનું પાલન થતું નથી, તેમજ કેટલીક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ, બેનામી વ્યવહારો અને મિલકતની તબદીલી થઈ રહી હોવાના આક્ષેપ સાથે સાધુ-સંતોના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.
પ્રતિનિધિમંડળે એન.જી. ઝવેરી સ્કૂલ સામેનો વિસ્તાર, રંગીલાદાસની શેરી, હનુમાન ચાર રસ્તા, મહાવીર રત્ન શોપિંગ સેન્ટર, ગોપીપુરા વિસ્તાર સહિત અનેક સ્થળોએ અશાંતધારા કાયદાનો કડક અમલ કરાવવા માંગ કરી હતી. સાધુ-સંતોનું કહેવું છે કે જો નિયમોનું યોગ્ય પાલન થશે તો જૂના સુરતની સંસ્કૃતિ જળવાશે અને લોકોની હિજરત અટકાવવામાં મદદ મળશે. સાથે જ તેમણે તંત્રને કાયદાનું નિષ્પક્ષ અને કડક અમલીકરણ કરવાની અપીલ કરી હતી.
