સુરતના પાતાલી હનુમાન મંદિરના મહંત દ્વારા પત્રકાર પરિષદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિવિધ પાંચ માંગણીઓ મુકી
માંગણીઓ નહી સ્વીકારાઈ તો સેન્સેક્સ 15000 પોઈન્ટ તૂટશે
સુરતના પાતાલી હનુમાન મંદિરના મહંત દ્વારા પત્રકાર પરિષદ યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિવિધ પાંચ માંગણીઓ મુકી હતી અને જો તેઓની માંગણીઓ નહી સ્વીકારાઈ તો સેન્સેક્સ 15000 પોઈન્ટથી નીચે ગબડી જશે તેમ કહ્યુ હતું.
સુરતના મુગલીસરા મેઈન રોડ આઈ.પી. મિશન હાઇસ્કુલની પાછળ આવેલા પાતાળી હનુમાન મંદિરના મહંત શ્રી દયારામ દાસજી મહારાજે સુરત સર્કિટ હાઉસ ખાતે બોલાવેલી પત્રકાર પરિષદમાં કહ્યુ હતું કે, વર્ષ 1990 માં જ્યારે મુલાયમ સરકારે કાર સેવકો પર ગોળીબાર કર્યો અને હજારો નિર્દોષ, ધાર્મિક અને અધિકાર પ્રેમી સનાતનીઓને શહીદ કરવામાં આવ્યા ત્યારે સંકલ્પ લીધું હતું કે મારુ જીવન અને મારી તપસ્યા, ધર્મ, રાષ્ટ્ર, ગાય માતાના રક્ષણ, ભારતને વિશ્વનો સૌથી ધનિક અને મજબૂત, સૌથી જ્ઞાની અને સૌથી સદાચારી રાષ્ટ્ર બનાવવા માટે સમર્પિત રહેશે. પણ જે વ્યક્તિઓ અધર્મમાં સામેલ હોય, કોઈપણ પ્રકારની શક્તિ, અધિકાર, સંપત્તિ, જ્ઞાન, તપસ્યા અને બલિદાનનો દૂર ઉપયોગ કરે છે તેવા વ્યક્તિઓને નુકસાન પહોંચાડવામાં હું કોઈ કસર છોડીશ નહીં. આ સાથે તેમણે પત્રકારોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, સનાતન ધર્મ રાષ્ટ્રની પ્રગતિ અને વિશ્વના કલ્યાણ માટે કેટલાક લક્ષ્યાંકિત કાર્યો સફળ બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે વિવિધ પાંચ માંગણીઓ કરી છે. જેમાં પશુ હત્યા પર પ્રતિબંધ, સમાન નાગરિક સંહિતા, અનામત માટે આર્થિક આધાર, ગંભીર ગુનાના અને ભ્રષ્ટ વ્યક્તિઓ પર કોઈપણ પ્રકારની ચુંટણી લડવા પર આજીવન પ્રતિબંધ તથા બધા રાષ્ટ્રીય તહેવારો હિંસા અને પ્રદૂષણથી મુક્ત હોવા જોઈએ.
જો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપરોક્ત પાંચ વિવિધ માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો આવનારા એક વર્ષમાં શેરબજારને તેના વર્તમાન સ્તરથી ઓછામાં ઓછા 15 હજાર પોઈન્ટથી વધુ નીચે ઉતારશે જેના પરિણામ સ્વરૂપે દેશની આર્થિક સ્થિતિ નબળી પડવા લાગશે અને સત્તામાં રહેલા તમામ રાજકીય પક્ષોને પણ બધી જ ચૂંટણીઓમાં નુકસાન પહોંચશે. એવું પણ મહંત દયારામ દાસજી મીડિયાના માધ્યમોથી પ્રધાનમંત્રીનું ધ્યાન દોરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 1990 થી 2025 સુધી રાષ્ટ્રના અર્થતંત્ર અને શેર બજારના વિકાસ તથા વર્ષ 1990 થી ભારતમાં સનાતન ધર્મના હિતમાં થયેલા તમામ રાજકીય પરિવર્તનોમાં મારી મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
