મનરેગા યોજનાનુ કેન્દ્ર સરકાર દ્વારા નામ બદલતા વિરોધ
સુરતમાં વિરોધ કરી રહેલ કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી
રાષ્ટ્રપિતાના નામ સાથે છેડછાડ સામે જનતાને જાગૃત કરાશે
મનરેગા યોજનાનુ કેન્દ્ર સરકાર દ્વારા નામ બદલી નંખાતા કોંગ્રેસ દ્વારા વિરોધ શરૂ કરાયો છે ત્યારે સુરતમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી.
મનરેગા યોજનાનું નામ બદલવાના ભાજપ સરકારના નિર્ણય સામે કોંગ્રેસ રણમેદાનમાં આવી ગયુ છે. સુરત ચોક બજાર સ્થિત મહાત્મા ગાંધી પ્રતિમા પાસે કોંગી નેતાઓએ ગાંધી પ્રતિમાને પાણીથી સાફ કરી સુતરની આંટી પહેરાવી મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવી જી રામ જી કરવા સામે ઉગ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અને કહ્યુ હતુ કે ગરીબોની રોજીરોટી છીનવવાનો પ્રયાસ રોકવા કોંગ્રેસે બાયો ચઢાવી છે. હાઈકમાન્ડની સૂચના મુજબ સુરત શહેર કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરાયુ હતું. અને રાષ્ટ્રપિતાના નામ સાથે થઈ રહેલી છેડછાડ સામે જનતાને જાગૃત કરાશે તેમ કહ્યુ હતું. તો બીજી તરફ વિરોધ કરી રહેલા કોંગી નેતા અને કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
