સુરતમાં અમરનાથ યાત્રા માટે મેડિકલ સર્ટિફિકેટની વ્યવસ્થા
નવી સિવિલ હોસ્પિટલમાં 11 એપ્રિલથી વિનામૂલ્યે સર્ટિફિકેટ આપવાની શરૂઆત
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાએ જનારા યાત્રાળુઓ માટે મેડીકલ સર્ટીફિકેટ આપવાની શરૂઆત તાઃ૧૧મી એપ્રિલથી કરાશે.
અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડે છે જે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તા:૧૧/૦૪/૨૦૨૫ના રોજથી જુના એમ.આઇ.સી.યુ. બિલ્ડીંગનાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મેડીકલ ફીટનેસ સર્ટીફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે. જે કામગીરી હોસ્પિટલ કામકાજનાં ચાલુ દિવસોમાં સોમવાર થી શુક્રવાર દરમ્યાન સમય સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમિયાન થશે. જે મેડીકલ સર્ટીફિકેટની ફી લેવામાં આવતી નથી. યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુ એ કેસબારી, તબીબો, લેબોરેટરી રૂમ તથા ઇ.સી.જી. ની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. અમરનાથ યાત્રાએ જનારા યાત્રાળુએ પોતાની સાથે નંગ-૪(ચાર) પાસપોર્ટ સાઇઝ ફોટા, આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટીંગ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ પૈકી કોઇપણ એક) અસલ તથા ઝેરોક્ષ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટીફિકેટ ફોર્મ (બે નકલમાં) સાથે રૂબરૂમાં આવવાનું રહેશે. સરકારના પ્રવર્તમાન પરિપત્ર/ગાઇડલાઇન અનુસાર ૧૩ વર્ષથી નીચેનાં અને ૭૦ વર્ષ ઉપરનાં વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મુકવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મેડીકલ સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં.