નવસારી શહેરમાં પડેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર
શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી
વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો
નવસારી શહેરમાં પડેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવસારીમાં પાણીના ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ તાત્કાલિક ક્વિક રિસ્પોન્સ ટીમોને કાર્યરત કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે કુલ 13 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમો વરસાદી પાણીના નિકાલની કામગીરી સાથે ગટર અને સ્ટોર્મ વોટર લાઈન પર એકઠા થયેલા પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાને દૂર કરવાની કામગીરી પણ કરી રહી છે. ગટરોમાં અવરોધ દૂર થતાં પાણીનો પ્રવાહ ફરી શરૂ થાય અને પાણીનો ભરાવો ઓછો થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરના જે વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો મળી રહી છે ત્યાં તાત્કાલિક ટીમોને મોકલી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદી માહોલ વચ્ચે શહેરમાં પાણીનો ભરાવો ન રહે તે માટે મહાનગરપાલિકાની ટીમો સતત કામગીરીમાં વ્યસ્ત જોવા મળી રહી છે.
