ગુજરાત ભાજપ પ્રવક્તા અનિલ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
વડોદરામાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા મામલે કર્યા પ્રહાર
કોંગ્રેસના તમામ આરોપોને પાયાવિહોણા અને તથ્યહીન
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય તાપમાન વધ્યું છે ત્યારે ભાજપાના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે બિનહરીફ જીતના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આક્ષેપોને પગલે ભાજપાના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા સહાનુભૂતિ મેળવવા માટે ખોટી વાર્તાઓ ઉભી કરવાની કોશિશ થઈ રહી છે પરંતુ, ભાજપાને મળતું જનસમર્થન જ દર્શાવે છે કે પક્ષને કોઈ ઉમેદવારને મનાવવાની જરૂર નથી. કોંગ્રેસના તમામ આરોપોને પાયાવિહોણા અને તથ્યહીન ગણાવતા કહ્યું કે, જનતા સંપૂર્ણપણે ભાજપા સાથે છે. કોંગ્રેસની પરંપરાગત રાજકીય રીતો જ આ પ્રકારના આરોપોનું મૂળ છે. ડૉ.પટેલે વડોદરા શહેરના વોર્ડ નં. 11નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈએ સવારે 11:05 વાગ્યે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું અને જાહેરમાં સ્વીકાર્યું કે તેઓ ચૂંટણી લડવા ઇચ્છતા નહોતા પરંતુ, પાર્ટી દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો કે, આવા અનેક ઉદાહરણો રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે. ડૉ. અનિલ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકાસના રિપોર્ટ કાર્ડના આધારે ગુજરાતની જનતા ફરી એકવાર ભાજપાને આશીર્વાદ આપશે અને ભવ્ય વિજય અપાવશે.
ભાજપાનું પ્રચાર અભિયાન ત્રણ તબક્કામાં ચાલી રહ્યું છે, જેમાં હાલ બીજો તબક્કો ચાલુ છે. ડોર ટુ ડોર જનસંપર્ક, ડિજિટલ પ્રચાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના વિકાસકાર્યો અને યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ઉપરાંત, ભાજપા દ્વારા વિવિધ પ્રકારની પ્રચાર સામગ્રી તૈયાર કરવામાં આવી છે, જેમાં પત્રિકાઓ, બેનરો અને કમળના નિશાન સાથેની વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સામગ્રીનો ઉપયોગ રાજ્યભરમાં પ્રચાર અભિયાનને વધુ ગતિ આપવા માટે કરવામાં આવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
