ઇચ્છાપોર ગ્રામ પંચાયતમાં મેળાપીપણામાં ઉચાપત
માજી સરપંચ, ઉપ સરપંચ અને મહિલા તલાટી કમ મંત્રીએ ખોટા બીલો બનાવ્યા
સરકારી નાણાંની ઉચાપત કરીને 28.84 લાખની રકમ ચાઉં
વર્ષ 2014 માં થયેલા ઇચ્છાપોર ગ્રામ પંચાયતના તત્કાલીન માજી સરપંચ, ઉપ સરપંચ અને મહિલા તલાટી કમ મંત્રીએ એકબીજાના મેળાપીપણામાં ખોટા બિલો બનાવીને અને સરકારી નાણાંની ઉચાપત કરીને કુલ રૂ. 28.84 લાખની રકમ ચાંઉં કરી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં અગાઉ તલાટી કમ મંત્રીની ધરપકડ થઈ ચૂકી હતી, અને હવે કોર્ટે આપેલા સ્ટેની મુદત પૂરી થતાં ઇચ્છાપોર પોલીસે માજી સરપંચ અને ઉપ સરપંચની પણ ધરપકડ કરાઈ છે.
ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2014માં ઇચ્છાપોર ગ્રામ પંચાયતમાં તત્કાલીન માજી સરપંચ અનુરાગ મનુભાઈ પટેલ, ઉપ સરપંચ મનોજ ભગુભાઈ પટેલ અને તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ત્રિપુટીએ આ કૌભાંડ આચર્યું હતું. આ ત્રણેયે પદનો દુરુપયોગ કરીને ગ્રામ પંચાયતના ઘરવેરા સહિત અન્ય વેરાની આવક બેંકમાં જમા કરવાના બદલે પોતાની પાસે રાખી લીધી હતી. સાથે જુદી જુદી પેઢીઓના નામે ખોટા અને બોગસ બિલના વાઉચર તૈયાર કરીને રોકડ મેળમાં 1,40,050 ના ખર્ચા દર્શાવ્યા હતાં. પંચાયતની આવકના 12,03,000 ની રકમ વાઉચર વિના જ રોજમેળમાં બતાવીને સરકારી નાણાંની ઉચાપત કરી હતી. ટ્રાન્સપોર્ટના નામે ખોટા બિલના 7,92,500 ના રોજમેળમાં દર્શાવ્યા હતા. આ તમામ ગેરરીતિઓના કારણે કુલ 28,85,790 ની રકમની ઉચાપત કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી અને રિમાન્ડ પ્રકરણમાં ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગાઉ તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ધરપકડ કરી હતી. જોકે, માજી સરપંચ અનુરાગ પટેલ અને ઉપ સરપંચ મનોજ પટેલ સામેની કાર્યવાહી માટે કોર્ટે સ્ટે આપ્યો હતો. ઈચ્છાપોર ગ્રામ પંચાયત કૌભાંડ કેસમાં કોર્ટે આપેલો સ્ટે હટી જતાં અને તેની મુદત પૂરી થતાં ઈચ્છાપોર પોલીસ મથકના પીઆઇ એ.સી. ગોહીલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. માજી સરપંચ અનુરાગ પટેલ અને માજી ઉપ સરપંચમનોજ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે માજી સરપંચ અનુરાગ પટેલના એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓએ કયા હેતુથી અને કેવી રીતે સરકારી નાણાંની ઉચાપત કરી, તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, અને ઉચાપત કરાયેલી રકમ ક્યાં રોકવામાં આવી છે તે દિશામાં ઊંડી તપાસ હાથ ધરાઈ છે.
