સુરત સિંગણપોર વિસ્તારમાં તાપી નદીમાંથી લાશ મળવાની ઘટના
દુકાનદારના પુત્રની વીસેક દિવસ અગાઉ તાપી નદીમાંથી લાશ મળી હતી
ચાર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ધરપકડ કરી
સુરત સિંગણપોર વિસ્તારમાં ઈલેક્ટ્રીક દુકાનદારના પુત્રની વીસેક દિવસ અગાઉ તાપી નદીમાંથી લાશ મળવાની ઘટનામાં ચાર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.
સુરત સિંગણપોરની શ્રદ્ધાદીપ સોસાયટીમાં ઈલેક્ટ્રીકની દુકાન ધરાવતા વિનોદ ગેડીયાનો મોટો પુત્ર વ્રજ ગત 14 ફેબ્રુઆરીએ દુકાનેથી જમવા ઘરે ગયો હતો જો કે પરત ન આવતા દુકાનમાં કામ કરતા કર્મચારીએ વતન ગયેલા વિનોદ ગેડીયાને જાણ કરી હતી કે વ્રજ દુકાને આવ્યો નથી. જેથી વિનોદે તુરંત વ્રજને ફોન કર્યો હતો પરંતુ ફોન બંધ હતો અને બીજા દિવસે વતનથી પરત આવ્યા ત્યારે પણ વ્રજ ઘરે ન હતો. જેથી ચોકી ગયા હતા અને વ્રજના ગુમ થવા અંગે કતારગામ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી. પરંતુ 16 મીએ વિનોદને સંબંધીએ જણાવ્યુ હતુ કે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે ભરીમાતા રોડના સેરીનીટી હોમ્સની યુવતિ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેથી યુવતિના પરિવારજનો યુવકના મિત્રને પકડી માર મારતા હતા તે સમયે વ્રજ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યો હોવાથી દિલીપ ધનજી ગોંડલીયાએ મોબાઈલ ઝુંટવી નીચે ફેંકી દેતા ફોન તુટી ગયો હતો. ઉપરાંત દિલીપ તથા જ્યંતિ, દિલીપ અને ભાવેશ સહિતનાઓએ વ્રજને માર માર્યો હતો. પરંતુ આ અરસામાં પોલીસ આવી જતા તમામને ચોક બજાર પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. પરંતુ વ્રજે ફરિયાદનો ઈન્કાર કરતા ત્યાંથી ઘરે આવ્યા બાદ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બાઈક પાર્ક કરી ક્યાંક ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ જહાંગીરપુરા નજીક સંજય નગર પાસે તાપી નદીમાંથી તેની લાશ મળી આવતા પોલીસે ચાર આરોપીઓ જ્યંતિ ગોંડલીયા, દિલીપ જીવરાજ પીપલીયા, દિલીપ ધનજી ગોંડલીયા સહિત ચાર સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.
