રાજ્યભરમાં આજથી વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ
સુરતમાં શિક્ષકોની મુશ્કેલીઓ સામે આવી રહી છે
500 થી વધુ શિક્ષકોને વસતી ગણતરીમાં જોડવામાં આવ્યા
રાજ્યભરમાં આજથી વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ થયો છે, ત્યારે સુરતમાં શિક્ષકોની મુશ્કેલીઓ સામે આવી રહી છે. 4500 થી વધુ શિક્ષકોને વસતી ગણતરીમાં જોડવામાં આવ્યા હોવા છતાં અનેક શિક્ષકોને હજુ સુધી સાહિત્ય કીટ આપવામાં આવી નથી.
સુરત સહિત રાજ્યભરમાં આજથી શરૂ થયેલી વસતી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષના જણાવ્યા અનુસાર શહેરમાં 4500થી વધુ શિક્ષકોને વસતી ગણતરીમાં ફરજ સોંપવામાં આવી છે, પરંતુ ઘણા શિક્ષકોને હજુ સુધી જરૂરી સાહિત્ય કીટ આપવામાં આવી નથી. શિક્ષકો દ્વારા રહેઠાણ અને શાળાની નજીક સેન્ટર ફાળવવા માટે લગભગ 700 અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી અંદાજે 150 જેટલી અરજીઓ હજુ સુધી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અનેક શિક્ષકોને એક નહીં પરંતુ ત્રણ-ત્રણ બ્લોકમાં કામગીરી સોંપાતા મુશ્કેલી વધી રહી છે.
શિક્ષકોનું કહેવું છે કે આવનારા દિવસોમાં શાળા પ્રવેશોત્સવ સહિતની શૈક્ષણિક કામગીરી પણ શરૂ થવાની છે, ત્યારે વધારાની જવાબદારીથી બાળકોના અભ્યાસ પર સીધી અસર પડી શકે છે. શિક્ષકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તેમને વધારાની કામગીરીમાંથી મુક્ત કરી માત્ર એક જ બ્લોકની જવાબદારી સોંપવામાં આવે જેથી શિક્ષણ કાર્ય પર અસર ન પડે.
