ગુજરાતમાં ઈંધણ કટોકટીની અફવા વચ્ચે પુરવઠા વિભાગનો મોટો નિર્ણય
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર
બેરલ કે અન્ય પાત્રોમાં પેટ્રોલ-ડીઝલ વેચવા પર પ્રતિબંધ
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતના અહેવાલો વચ્ચે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે . શહેરના મોટાભાગના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે
મધ્ય એશિયામાં ચાલી રહેલા તણાવ અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ લીધે ઈંધણ પુરવઠો ખોરવાવાની બીકે લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે . ગુજરાતમાં પેટ્રોલ પંપો પર લોકો કલાકો સુધી રાહ જોતા નજરે પડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઈંધણનો સ્ટોક ખતમ થઈ જવાની અફવાઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે, જેના લીધે અનેક સ્થળોએ વાહનચાલકો અને પંપના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. રાજ્યમાં ઈંધણની કટોકટી હોવાની વહેતી થયેલી અફવાઓ વચ્ચે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરીને કડક સૂચનાઓ આપવામાં આવી છે
લોકોમાં ફેલાયેલા ડરને કારણે સર્જાયેલા ‘પેનિક બાયિંગ’ને રોકવા માટે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે હવેથી પેટ્રોલ પંપો પર માત્ર વાહનોની ટાંકીમાં જ ઈંધણ ભરી શકાશે, કોઈપણ સંજોગોમાં બેરલ, કેન કે અન્ય ખુલ્લા પાત્રોમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરી શકાશે નહીં. તંત્રએ ચેતવણી આપી છે કે જો કોઈ સ્તરે કૃત્રિમ અછત ઊભી કરવાનો કે સંગ્રહખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવીને સરકારે લોકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
