સુરતના નાસીર નગરમાં થયેલા કથિત ભૂતિયા ડિમોલિશન
મનપાના અધિકારીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
સુરતના નાસીર નગરમાં થયેલા કથિત ભૂતિયા ડિમોલિશન મુદ્દે હવે મનપાના અધિકારીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન મામલે ઉઠેલા વિવાદ વચ્ચે હવે મનપાના એડીશનલ સિટી એન્જિનિયર આશિષ નાયકે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 30/05/2026ના રોજ મનપાની ટીમ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવા માટે સ્થળ પર પહોંચી હતી અને તમામ કાર્યવાહી કાયદાકીય જોગવાઈ મુજબ કરવામાં આવી હતી. આશિષ નાયકના જણાવ્યા મુજબ કામગીરી દરમિયાન શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે પોલીસને પણ અગાઉથી જાણ કરવામાં આવી હતી, જેથી સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ નિયમ મુજબની કાર્યવાહી છે. સાથે જ તેમણે દાવો કર્યો કે હાલ તપાસ કમિટી રચાઈ છે અને મનપા તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
આશિષ નાયકે મીડિયા રિપોર્ટિંગ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે કેટલાક મીડિયા તત્વો મુદ્દાને ખોટી રીતે ચગાવી રહ્યા છે અને એકતરફી માહિતી રજૂ કરી રહ્યા છે, જેના કારણે અધિકારીઓ પર માનસિક દબાણ ઊભું થઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી તપાસ કમિટીની અંતિમ રિપોર્ટ બહાર ન આવે ત્યાં સુધી ખોટી કે અપૂર્ણ માહિતી ફેલાવવી યોગ્ય નથી. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને હવે સૌની નજર તપાસ કમિટીના અંતિમ રિપોર્ટ પર ટકેલી છે.
