સુરતમાં પડેલા વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા
નવીન ફ્લોરિંગ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો હાલાકી
લોકોમાં તંત્રની કામગીરી સામે ફરી રોષ જોવા મળ્યો
સુરતમાં પડેલા વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવી હોય તેમ ભેસ્તાન નજીક આવેલા નવીન ફ્લોરિંગ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો ટ્રાફિક ધીમો પડી જતા લોકોમાં તંત્રની કામગીરી સામે ફરી રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં થોડા સમયના વરસાદે જ ભેસ્તાન નજીકના નવીન ફ્લોરિંગ રોડને જળબંબાકાર બનાવી દીધો. રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ધીમી ગતિએ પસાર થવાની ફરજ પડી હતી. પાણી ભરાવાના કારણે અનેક બે-ચક્રી અને ચાર-ચક્રી વાહનો મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે રાહદારીઓને પણ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. ટ્રાફિકની ગતિ ધીમી પડતાં લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ દરમિયાન આ રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. તંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલ અને કાયમી ઉકેલની માંગ સાથે સ્થાનિકોએ વાહનચાલકોને સાવચેતી રાખવા તેમજ શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
