સુરતમાં ધોધમાર વરસાદ બાદ વેપારીઓને ભારે આર્થિક ફટકો
કાપડ માર્કેટોના બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતા ભારે આર્થિક ફટકો
માલ પલળી જતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો
સુરતમાં ધોધમાર વરસાદ બાદ કાપડ માર્કેટોના બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતા હજારો વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે. રક્ષાબંધન માટે તૈયાર કરાયેલો લાખો રૂપિયાનો માલ પલળી જતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં પડેલા ધોધમાર વરસાદે સુરતની ઓળખ સમા કાપડ ઉદ્યોગને મોટું નુકસાન પહોંચાડ્યું છે. કાપડ માર્કેટોમાં બેઝમેન્ટમાં આવેલી આશરે 1 હજાર જેટલી દુકાનોમાં અઢીથી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતા વેપારીઓનો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓએ મોટા પ્રમાણમાં સ્ટોક તૈયાર કર્યો હતો, પરંતુ ભારે વરસાદના કારણે જેટલો માલ બચાવી શકાય એટલો બહાર કાઢવામાં આવ્યો અને બાકીનો કિંમતી માલ દુકાનોમાં જ પલળી ગયો હતો. વેપારીઓએ કહ્યુ હતુ કે એક-એક વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને પલળી ગયેલો માલ હવે વેચાણ કે ઉપયોગ માટે યોગ્ય રહ્યો નથી. વેપારીઓનો અંદાજ છે કે આ વરસાદના કારણે 150થી 200 કરોડ જેટલું નુકસાન થયું છે, જેના કારણે સમગ્ર કાપડ બજારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
