અમરેલી ધારીમાં ધારાસભ્યના પત્નીનું વિવાદાસ્પદ નિવેદન.
ધારાસભ્ય જે.વી.કાકડીયાના પત્ની કોકિલા કાકડીયાએ આપ્યું નિવદેન.
‘વિધર્મી’ તત્વોના નાશ સંદર્ભે જે અભિવ્યક્તિ કરી તેને લઇ વિવાદ
અમરેલી જિલ્લાની ધારી-બગસરા બેઠકના ધારાસભ્ય જે.વી. કાકડિયાના ધર્મપત્ની અને ભાજપના અગ્રણી મહિલા નેતા કોકિલા કાકડિયાનો એક વીડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પ્રચંડ વેગથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તેમણે ‘વિધર્મી’ તત્વોના નાશ સંદર્ભે જે અભિવ્યક્તિ કરી છે, તેણે રાજ્યના રાજકીય ફલક પર વિવાદનો મધપૂડો છંછેડ્યો છે અને વિરોધ પક્ષોએ શાસક પક્ષને આડે હાથ લેવાની તક ઝડપી લીધી છે. આ વિવાદનું ઉદગમ સ્થાન 11 મી એપ્રિલની ઘટના છે, જ્યારે ધારગણી જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપના અધિકૃત ઉમેદવારનું નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે વેળાએ જાહેરસભાને સંબોધતા કોકિલાબેન કાકડિયાએ માઈક પરથી સિંહગર્જના કરતા જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેના સંગઠને હવે વિધર્મીઓનો નાશ કરવા માટે એક વ્યાપક ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. તેમણે પોતાના સંબોધનને વધુ ધારદાર બનાવતા ઉમેર્યું હતું કે, “પક્ષે જ્યારે મહાવીરબાપુ જેવા સક્ષમ વ્યક્તિને ટિકિટ આપી છે, ત્યારે આપણે સૌએ સંગઠિત થઈને વિધર્મીઓનો સફાયો કરવો જોઈએ. ભાજપને વધુ શક્તિશાળી બનાવવા માટે જે દાવેદારોને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, તેઓ ભવ્ય વિજય પ્રાપ્ત કરે તેવી દાનમહારાજના ચરણોમાં અમે વંદના કરીએ છીએ.” આ નિવેદનની ક્લિપ વાયુવેગે પ્રસરતા જ વિવાદના વંટોળે જોર પકડ્યું છે.
આ તેજાબી નિવેદનના પગલે રાજકીય આલમમાં તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે અને વિપક્ષી દળો ભાજપની વિચારધારા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. સ્થાનિક સ્તરે આ આક્રોશ વધુ ઘેરો બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં સત્તાધારી પક્ષના એક જવાબદાર મહિલા હોદ્દેદાર દ્વારા આ પ્રકારની કઠોર ભાષાના પ્રયોગે વાતાવરણમાં ઉત્તેજના ભરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એકતરફ ભાજપે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ અને અમરેલી જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીઓમાં લઘુમતી સમુદાયના ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને તેમને ટિકિટ ફાળવી છે, ત્યારે બીજી તરફ ‘વિધર્મીના નાશ’ જેવા આલંકારિક પણ વિવાદાસ્પદ સૂત્રોચ્ચારો પક્ષ માટે કેટલીક બેઠકો પર રાજકીય સમીકરણો બગાડી શકે છે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
