સુરતમાં ધાર્મિક આસ્થા સમાન પ્રસાદમાં ઝેર
પ્રસાદમાં ઝેર ભેળવી પરિવારને મારી નાંખવાનો પ્રયાસ
હાલ પરિવારના ત્રણ સભ્યો સારવાર હેઠળ
સુરતમાં ધાર્મિક આસ્થા સમાન પ્રસાદમાં ઝેર ભેળવી પરિવારને મારી નાંખવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
સુરતમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરાયો હોવાનુ સામે આવ્યુ છે. ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્સમાં એક પરિવારને અજાણ્યા શખસો દ્વારા દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરાયો હોય આ મામલે પોલીસે સીસીટીવીના આધારે પાંચ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. ગોરધનભાઇ વશરામભાઇ ડોંડાના પરિવારને ખત્મ કરવાનો પ્રયાસ કરાયો હોય તેમ લાડુ ખાધા બાદ તમામની તબિયત વધુ બગડતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
પરિવારના કોઈ જાણભેદુ અથવા અંગત અદાવત રાખનાર વ્યક્તિએ આ કૃત્ય કર્યુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. પ્રસાદ ક્યારે મૂકવો, કયા સમયે પરિવાર ઘરે હશે અને કઈ રીતે શંકા ન જાય તે રીતે લાડુ આપવા, આ તમામ બાબતો પૂર્વ આયોજિત કાવતરા તરફ ઈશારો કરી રહી છે. ત્યારે હાલ પરિવારના ત્રણ સભ્યો સારવાર હેઠળ હોય પોલીસ તપાસમાં જ મહત્વના ખુલાસા થશે તેમ છે.
