સુરતના કતારગામ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પ
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત પણ ઉપસ્થિત રહ્યા
થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જીવવા માટે દર 15-20 દિવસે નવા લોહીનું જરૂર
સુરતના કતારગામ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પનુ આયોજન કરાયુ હતુ જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત પણ ઉપસ્થિત રહ્યા હતાં.
સુરત ઝોન 3 પોલીસ પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોની વહારે આવવા માટે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કતારગામમાં આયોજિત આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારીથી પીડાતા નિર્દોષ બાળકોને લોહી પૂરૂં પાડવાનો હતો. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જીવવા માટે દર 15-20 દિવસે નવું લોહી ચઢાવવું પડતું હોય છે, અને ઉનાળા જેવી ઋતુમાં જ્યારે બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાય છે, ત્યારે પોલીસની આ પહેલ આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ કાર્યક્રમના મહત્વને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતે કેમ્પની મુલાકાત લઈ રક્તદાન કરી રહેલા પોલીસ જવાનો અને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં લગભગ આપણા 1100 જેટલા થેલેસેમિયાથી ગ્રસ્ત બાળકો છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ તરફથી થેલેસેમિયાના બાળકો માટે લગભગ 10,000 જેટલા બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવે છે. એના જ ભાગરૂપે અત્યારે તમામ બ્લડ બેંકના હોદ્દેદારો અમે લોકો પાસે આવીને રજૂઆત કરેલી હતી,
અત્યારે સમય એવો છે કે જ્યાં બીજા રોગચાળાઓને લીધે બ્લડની જરૂરત પડતી હોય છે, ત્યારે થેલેસેમિયાના બાળકોને પણ તકલીફ પડે છે. જેના લીધે જ અમે લોકો આજે ડીસીપી ઝોન-3 ના પોલીસ સ્ટેશનના વિસ્તારના તમામ અમારા અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોના સહયોગથી આજે 1000 જેટલા જો યુનિટ ભેગા કરવા માટે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે.
