સુરત કતારગામમાં જીવલેણ અકસ્માતમાં યુવાનનું મોત
આહીર સમાજ ન્યાયની માંગ સાથે મેદાને આવ્યો
મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર
સુરત કતારગામ વિસ્તારમાં મેટ્રો સ્ટેશનના બેરિકેડિંગને કારણે થયેલા જીવલેણ અકસ્માતમાં યુવાનના મોત બાદ હવે આહીર સમાજ ન્યાયની માંગ સાથે મેદાને આવ્યો હોય તેમ શ્રી આહીર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી.
સુરતના કતારગામ ખાતે મેટ્રો સ્ટેશનના બેરિકેડિંગને કારણે સર્જાયેલા અકસ્માતમાં માનસુખ ભાણજી કર્મુરના મોત બાદ મામલો વધુ ગરમાયો હોય તેમ શ્રી આહીર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટે સુરત કલેકટર થકી રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરાઈ છે. ટ્રસ્ટનો આક્ષેપ છે કે માર્ગ પર બેરિકેડિંગ અને ટ્રાફિક વ્યવસ્થામાં રહેલી ખામીને કારણે અકસ્માત સર્જાયો હતો.
આવેદનમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સાથે મૃતકના પરિવારને યોગ્ય વળતર અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની પણ માંગ કરવામાં આવી છે. હવે સરકાર આ રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
