રાજકોટમાં બાબા બાગેશ્વરની કથા પહેલા ઉગ્ર વિરોધ.
વિજ્ઞાન જાથાના ચેરમેન અને પાટીદાર આગેવાને કર્યો વિરોધ.
બાબા અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો જયંત પંડ્યાનો આક્ષેપ.
રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા યોજાય તે પહેલા જ મોટો વિવાદ ગરમાયો છે.
રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા યોજાય તે પહેલા જ મોટો વિવાદ ગરમાયો છે. શહેરમાં કથાના આયોજનને લઈને અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને કથાના નામે થતા પ્રપંચ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થયા બાદ પુરુષોત્તમ પીપળિયાએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કથિત ઢોંગ અને અંધશ્રદ્ધા પર આકરા પ્રહારો કર્યા છે. પીપળિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “હું પોતે ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતો માણસ છું. મેં ક્યારેય સનાતન ધર્મ કે કથાનો વિરોધ કર્યો નથી. મેં પોતે પણ અનેક ધાર્મિક કથાઓમાં ભાગ લીધો છે અને મંદિર નિર્માણના કાર્યોમાં મોટું યોગદાન આપ્યું છે. પરંતુ મારો વિરોધ ધર્મના ઓઠા હેઠળ થતા ધતિંગ અને અંધશ્રદ્ધા સામે છે. બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પર નિશાન સાધતા ઉમેર્યું કે, કથાના નામે દરબાર ભરવા અને ચિઠ્ઠીઓ કાઢીને લોકોના ભૂત-ભવિષ્ય બતાવવાનો દાવો કરવો એ લોકોને ગેરમાર્ગે દોરવાનું મોટું પ્રપંચ છે. આજના આધુનિક વિજ્ઞાન અને AI ના યુગમાં આવા ધતિંગો ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે નહીં. ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ થવું જોઈએ. રાજકોટમાં બાબા બાગેશ્વરના આગમન પહેલા જ આ પ્રકારનો વિરોધ સામે આવતા હવે સોશિયલ મીડિયા અને રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે. એકતરફ બાબાના ભક્તો આ આયોજનને સફળ બનાવવા તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અંધશ્રદ્ધા સામે ઉઠેલો આ અવાજ કથાના આયોજન પર કેવા પ્રત્યાઘાતો પાડે છે તે જોવું રહ્યું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
