રાજકોટ જસદણના 7 ગામમાં 30 વર્ષથી એસટી બસ આવતી નથી.
બસની સુવિધા નહીં મળવાને કારણે વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો.
ખાનગી વાહનચાલકો ઉંચા ભાડા વસૂલે છે
જસદણ તાલુકાના વીરપર, રાણીંગપર, રણજિતગઢ, બોઘરાવદર, આધિયા, રાજાવડલા સહિત 7 ગામમાં છેલ્લા 30 વર્ષથી એસ.ટી.બસ. આવતી નથી. જેને કારણે વિદ્યાર્થીઓને અધ્ધવચ્ચેથી અભ્યાસ છોડી દેવો પડે છે.
જસદણના 7 ગામમાં 30 વર્ષથી ST બસ આવતી નથી. જ્યારે ખાનગી વાહનચાલકો મજબૂરીનો લાભ લઈને ઉંચા ભાડા વસૂલે છે. આ પ્રકારની રજૂઆત જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ સાકરિયાએ એસ.ટી નિગમમાં કરી છે. વિરોધ પક્ષના નેતા મનસુખ સાકરિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે હતું કે એક તો ગ્રામ્ય વિસ્તારમાં માધ્યમિક શાળા નથી એટલે ફરજિયાત તેઓને મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટે જવું પડે છે.જે માટે રોજ તેઓ અપડાઉન કરે છે, પરંતુ ગામની અંદર એસ.ટી.બસ છેલ્લા 30 વર્ષથી આવતી નથી. જેને કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં જવું પડે છે અથવા તો લાંબુ અંતર પગપાળા દ્વારા કાપવું પડે છે.
બસની સુવિધા નહીં મળવાને કારણે અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓએ અધ્ધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો છે. જેને કારણે તેઓનું ભવિષ્ય પણ અંધકારમય બને છે. જ્યારે ગામના લોકોને ખરીદી માટે, સારવાર લેવા માટે કે અન્ય કોઈ વ્યવહારિક કામકાજ માટે બહારગામ જવાનું થાય ત્યારે તેઓને ઉંચા ભાડા ફરજિયાત ચૂકવવા પડે છે. આ ઉંચા ભાડા તેઓને પોષાતા પણ નથી.આ ઉપરાંત આ ગામમાં માળખાકીય સુવિધાનો અભાવ છે.કરિયાણા-કાપડની દુકાનો નથી.ખેતીવાડીના સાધનો લેવા માટે ખેડૂતોને શહેરમાં જવું પડે છે. તેઓને તકલીફનો સામનો કરવો પડે છે. જસદણ પંથક અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ઈમિટેશન ઉદ્યોગ થકી લોકો સૌથી વધુ રોજીરોટી મળવે છે.
ઈમિટેશન માટે રો-મટિરિયલ્સ શહેરમાંથી લાવવું પડે છે અને ત્યાં પણ મજૂરીકામ કરાવવું પડે છે. આથી તે લેવા- મૂકવા માટે પણ શહેર સુધી જવું પડે, પરંતુ ગામથી શહેર કેવી રીતે જવું અને શહેરથી ગામમાં કેવી રીતે આવવું ? એ એક સૌથી મોટો પ્રશ્ન છે.કારણ કે, અહીં બસ આવતી નથી. આ ગામના લોકોની સમસ્યાને ધ્યાને લઇને તાત્કાલિક ધોરણે એસ.ટી.બસની સુવિધા શરૂ કરાવવામાં આવે તેવી માગણી છે. જો એસ.ટી. બસ આ વિસ્તારમાં શરૂ નહિ થાય તો આગામી દિવસોમાં આંદોલન હાથ ધરવા માટેની ચીમકી પણ ઉચ્ચારી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
