સુરત : પાંડેસરા તલવાર-ચપ્પુના ઘા ઝીંકી હત્યા કેસ
આરોપી અવધેશ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો,
ચાર આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોની ધરપકડ
સુરતમાં પાંડેસરાના વડોદ વિસ્તારમાં ગાંજાના કેસના આરોપીએ જૂના ઝઘડામાં એક યુવકની તલવાર અને ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
આ મામલે પાંડેસરા પોલીસે ચાર આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોની ધરપકડ કરી છે. આરોપી અવધેશ સહાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો.
તલવાર અને ચપ્પુ વડે યુવક પર હુમલો કર્યો હતો મૃતક સંદીપ ઉર્ફે તિસરી રાકેશસિંહ રાજપુત (ઉ.વ. 32) વડોદ ગામના આવાસમાં રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો. 4 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે સંદીપ વડોદ ગામ પાસે આવેલી ભોલે ટોકીઝ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ગાંજા કેસના આરોપી અવધેશ સહાની અને તેના સાગરીતોએ તલવાર અને ચપ્પુ વડે તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં સંદીપને પેટ, છાતી, પીઠ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
