જૂનાગઢના માણાવદરમાં રસાલા ડેમમાં ગટરના પાણી
ગટરના પાણી ઠલવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.
નગરપાલિકા દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા માગ ઉઠી.
માણાવદર શહેરના પટેલ ચોક વિસ્તારમાં આવેલી રસાલા લાઈનમાં છેલ્લા એક મહિનાથી ગટર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગટરોની સફાઈ ન થતા ગંદકી અને દુર્ગંધથી ત્રસ્ત સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.
માણાવદર શહેરના પટેલ ચોક વિસ્તારમાં ભારે ગંદકી પથરાઈ ગઈ છે, જેના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. આ પરિસ્થિતિને લીધે સ્થાનિક રહીશોનું જીવન મુશ્કેલ બન્યું છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક મહિલા આગેવાન રોશનબેન શબીર સાટીએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ગટર સફાઈ માટે વારંવાર અપીલ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. તેમણે નિર્દોષ બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી અંગે પ્રશ્ન કર્યો હતો. લાંબા સમયની ઉપેક્ષાથી કંટાળીને ગલીની તમામ મહિલાઓએ એકત્રિત થઈને નગરપાલિકા કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. તેમણે સત્તાધીશો સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરી હતી.
રહીશોના આક્રોશને ધ્યાને લઈને નગરપાલિકાના અધિકારીઓએ બે થી ત્રણ દિવસમાં ગટર સફાઈની કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી છે. જોકે, સ્થાનિક મહિલાઓએ ચેતવણી આપી છે કે જો આશ્વાસન મુજબ કામગીરી નહીં થાય તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે, આ અંગે માણાવદર નગરપાલિકાના આસિસ્ટન્ટ સેનિટરી ઇન્સ્પેક્ટર શ્યામ છૈયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક મહિલાઓ રજૂઆત કરવા આવી હતી. તેમણે સ્વીકાર્યું કે અગાઉ કોઈ સત્તાવાર ફરિયાદ નહોતી, પરંતુ મહિલાઓની રજૂઆતને ધ્યાને લઈને આગામી 2 થી 3 દિવસમાં ગટરની સમસ્યાનો નિકાલ કરવાની ખાતરી આપી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
