ભવનગરમાં આમ આદમી પાર્ટીમાં રાજીનામા
શહેર ઉપપ્રમુખ સહિત 100 એ રાજીનામા ધરી દીધા
ભાવનગર શહેરની રાજનીતિમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણી માટે જાહેર કરાયેલી પ્રથમ ઉમેદવાર યાદી બાદ આંતરિક અસંતોષ ખુલ્લો સામે આવ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી હવે થોડા જ દિવસોમાં જાહેર થવાની છે, તે પહેલાં પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1, 2, 3, 8 અને 10 માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 1 અને 2 માટે સંપૂર્ણ પેનલ જાહેર થતાં જ સ્થાનિક સ્તરે અસંતોષનો માહોલ ઉભો થયો છે. આ ઉમેદવારી જાહેર થયા બાદ વોર્ડ નંબર 1 માંથી આશરે 50 થી 100 જેટલા સક્રિય અને કદાવર કાર્યકર્તાઓએ એકસાથે રાજીનામા આપી દીધા છે. જેમાં પાર્ટીના શહેર ઉપપ્રમુખ ડી. એન. મારું પણ સામેલ છે. તેમના રાજીનામાથી પાર્ટીને સ્થાનિક સ્તરે મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડી. એન. મારું એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા છે અને વિવિધ જવાબદારીઓ નિભાવી છે. પોતાના ખર્ચે અને સમર્પણથી પાર્ટી માટે દિવસ-રાત મહેનત કરી છે. તેઓએ વધુમાં કહ્યું કે જ્યારે પણ વડાપ્રધાન કે મુખ્યમંત્રી ભાવનગર આવ્યા છે, ત્યારે પાર્ટીના આંદોલનોમાં સક્રિય ભાગ લીધો છે અને અનેક વખત પોલીસ સામે પણ મોરચો સંભાળ્યો છે. તેમ છતાં ઉમેદવારી ફાળવણી દરમિયાન તેમની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે તેમણે પાર્ટીથી છેડો ફાડી દીધો છે.
અત્રે નોંધનીય છે કે પાર્ટીની પ્રથમ યાદીમાં જ વિવાદ ઊભો થવો રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હજી સુધી 52 બેઠકોમાંથી માત્ર 12 ઉમેદવારો જાહેર થયા છે અને બાકીની 40 બેઠકો માટે ઉમેદવારો જાહેર થવાના બાકી છે. આવી સ્થિતિમાં આગળની યાદીઓમાં અસંતોષ વધુ વધશે કે પાર્ટી આંતરિક વિવાદોને સમાધાન તરફ દોરી જશે તે જોવાનું રહેશે. આ સમગ્ર ઘટનાક્રમથી ભાવનગરની રાજનીતિમાં નવી ચચા શરૂ થઈ છે અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે પડકારો વધી શકે છે.
