સુરતના કતારગામમાં ડાઈંગ યુનિટો સામે પાલિકાની કાર્યવાહી
કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી
200થી વધુ ડાઈંગ યુનિટોને પાલિકાએ નોટિસ ફટકારી
પરમિશનથી પાણીના નિકાલ સુધીના નિયમોની તપાસ
સુરતના કતારગામ વિસ્તારમાં ડાઈંગ યુનિટો સામે સુરત મહાનગર પાલિકાએ કાર્યવાહી શરૂ કરી હોય તેમ પાણીની લાઈનમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાની ફરિયાદો બાદ 200થી વધુ ડાઈંગ યુનિટોને નોટિસ ફટકારી હતી. પરમિશનથી લઈને પાણીના નિકાલ સુધીના નિયમોની પાલિકા દ્વારા તપાસ હાથ ધરી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં ચાલતા ડાઈંગ યુનિટો સામે હવે પાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. કેમિકલયુક્ત અને ટ્રીટમેન્ટ વગરનું પાણી ડ્રેનેજ લાઈનમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપો વચ્ચે મનપાની ટીમે તપાસ હાથ ધરી છે. નિયમોનું પાલન ન કરતા અને જરૂરી પરમિશન અંગે પ્રશ્નો ઉભા થયેલા 200થી વધુ ડાઈંગ યુનિટોને નોટિસ આપવામાં આવી છે. કેમિકલયુક્ત પાણીના કારણે ગંદકી અને પાણી પ્રદૂષણની ફરિયાદોને પગલે પાલિકાએ યુનિટ સંચાલકોને નિયમોનું પાલન કરવા કડક સૂચના આપી છે. શહેરમાં અનેક સ્થળોએ ગેરકાયદે રીતે ડાઈંગ યુનિટો ચાલતા હોવાના દાવા વચ્ચે હવે પાલિકાની તપાસ વધુ કડક બનતા યુનિટ સંચાલકોમાં દોડધામ મચી છે. નિયમોનો ભંગ કરનાર સામે આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તેના પર સૌની નજર છે.
