માંડવી ટીટોઈ ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત
આંતરિક રાજકારણમાં ગરમાવો
ગામને ફરી માંડવી તાલુકામાં સમાવવા ગ્રામજનોએ રજૂઆત કરી
માંડવી તાલુકાના ટીટોઈ ગામમાં સ્થાનિક રાજકારણમાં ઉથલપાથલ સર્જાઈ છે. ગામના સરપંચ વિરુદ્ધ ગ્રામજનોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરતા તંત્રથી લઈ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
મળતી માહિતી મુજબ ટીટોઈ ગામના અનેક ગ્રામજનોએ મિટિંગ બોલાવી સરપંચ સામે અવિશ્વાસની કાર્યવાહી શરૂ કરી હતી. ગામજનોનું આક્ષેપ છે કે સરપંચના કાર્યકાળ દરમિયાન ગ્રામ પંચાયતના હિતમાં પૂરતી કામગીરી કરવામાં આવી નથી, લોકપ્રશ્નોને અવગણવામાં આવ્યા છે અને પંચાયતની કાર્યપદ્ધતિમાં ગેરવ્યવહાર જોવા મળ્યો છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરી દેવામાં આવી છે તેમજ ગામજનો દ્વારા બોલાવવામાં આવેલી આ મિટિંગમાં બીજા મહત્વના મુદ્દા પર પણ ચર્ચા થઈ. ટીટોઈ ગામને હાલના અરેઠ તાલુકાને બદલે ફરી માંડવી તાલુકામાં સામેલ કરવાની માંગ પણ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી છે. ભોગોલીક સ્થિતિ, શાસકીય સગવડો, દૈનિક વ્યવહાર અને લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને ગામને ફરી માંડવી તાલુકામાં જોડવાની રજૂઆત અધિકારીઓને લેખિતમાં કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થવાની અપેક્ષા છે. આ સમગ્ર મામલાને લઈને આગામી દિવસોમાં તંત્ર શું પગલાં ભરે છે તે અંગે ગ્રામજનોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે…
