ધારાસભ્ય અમિત ઠાકરે અશાંતધારાના સમર્થનમાં કરી ધારદાર રજૂઆત
અમદાવાદની ડેમોગ્રાફી બદલવાનું સૌથી મોટું ષડયંત્ર
જુહાપુરામાં 5 જંગલેશ્વર જેટલું દબાણ
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ થતા વિધાનસભામાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો કાઢ્યો છે, ધારાસભ્યે ખુલાસો કર્યો કે આ ષડયંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય જુહાપુરાને છેક વેજલપુર ગામ સુધી લંબાવવાનો છે.
ગુજરાત વિધાનસભામાં ‘અશાંતધારા સુધારા વિધેયક’ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન વેજલપુરના ભાજપના જ ધારાસભ્ય અમિત ઠાકરે અમદાવાદ પ્રશાસનની પોલ ખોલતા અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અમિત ઠાકરે વિધાનસભા ગૃહમાં રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમદાવાદના જુહાપુરા અને ફતેવાડી વિસ્તારમાં રાજકોટના જંગલેશ્વર વિસ્તાર જેવા 5 જંગલેશ્વર બની જાય તેટલા મોટા પાયે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. તેમણે એક સુયોજિત કાવતરાનો પર્દાફાશ કરતા કહ્યું કે શહેરના કેટલાય વિસ્તારોની ડેમોગ્રાફી બદલવાના અને જુહાપુરાને છેક વેજલપુર ગામ સુધી લંબાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ગૃહમાં આંકડાકીય માહિતી આપતા ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે, અમદાવાદ પ્રશાસને તેમને ખુદ લેખિતમાં જવાબ આપ્યો છે કે એકલા ફતેવાડી વિસ્તારમાં જ 2.5 લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થઈ ચૂક્યું છે. આ દબાણ એટલું મોટું છે કે તે રાજકોટના પ્રખ્યાત ‘જંગલેશ્વર’ જેવા 5 વિસ્તારો બરાબર થાય.
વેજલપુર વિધાનસભા વિસ્તારની સ્થિતિ વર્ણવતા તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે વેજલપુરમાં હિંદુ અને મુસ્લિમ બંને સમાજના લોકો રહે છે. પરંતુ હાલમાં હિંદુ વિસ્તારોમાં જે ખાલી પ્લોટ પડ્યા છે, ત્યાં કોઈ ચોક્કસ તત્વો દ્વારા એકદમ સુનિયોજિત રીતે ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે. આખો વિસ્તાર ધીમે ધીમે અશાંત બને તેવા પ્રયાસો થઈ રહ્યા છે, જેથી ત્યાં રહેતા મૂળ લોકો ડરીને કે કંટાળીને સસ્તા ભાવે પોતાના પ્લોટ વેચી દેવા મજબૂર બને. અમિત ઠાકરના મતે, આ આખું ષડયંત્ર જુહાપુરા વિસ્તારને છેક વેજલપુર ગામ સુધી એક્સટેન્ડ કરવા માટે રચવામાં આવી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
