સુરતમાં અકસ્માતોની ઘટનાઓ યથાવત
મનપાના એક અધિકારીએ બેફામ કાર હંકારી
અધિકારી દારૂના નશામાં હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ
સુરતમાં અકસ્માતોની ઘટનાઓ યથાવત હોય તેમ પાલનપુર કેનાલ રોડ પર સુરત મનપાના એક અધિકારીએ બેફામ કાર હંકારી એક કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધી હતી. તો અકસ્માતને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જ્યારે અધિકારી દારૂના નશામાં હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ હતી.
સુરતમાં દારૂડિયા વાહન ચાલકો અકસ્માતની ઘટનાઓને વારંવાર અંજામ આપી રહ્યા છે. ત્યારે સુરતના પાલનપુર કેનાલ રોડ પર સર્જાયેલા અકસ્માતે લોકોમાં ચકચાર મચાવી દીધી હતી. વાત એમ છે કે સુરત મહાનગર પાલિકાના એક અધિકારી બેફામ રીતે કાર લઈ પસાર થઈ રહ્યા હોય તે સમયે કાર પરથી કાબુ ગુમાવતા અન્ય એક કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. જો કે અક્સમાતમાં કોઈ જાનહાનિ ન હતી. તો ઘટના બાદ સ્થાનિક લોકોએ કારચાલક મનપાના અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. કેટલાક લોકોએ અધિકારી દારૂના નશામાં હોવાની શંકા વ્યક્ત કરી હતી અને તેની તબીબી તપાસ કરવાની માંગ કરી હતી. બીજી તરફ અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.
