દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસર
વાવાઝોડાની અસરથી ખેડૂતો ચિંતામાં મુકાયા
રસાદને કારણે બાગાયતી પાક સહિત તૈયાર પાકને નુકશાન
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારે પવન અને વરસાદને કારણે બાગાયતી પાક સહિત તૈયાર પાકને નુકશાનની ભીંતિ ઉભી થઈ છે.
જલવાયુ પરિવર્તનના કારણે ગુજરાત સહિત દેશભરમાં હવામાનના અચાનક પલટા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને બાગાયતી પાક અને તૈયાર ઉભેલા પાકને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુરૂવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ અચાનક પડેલા માવઠાની સીધી અસર બાગાયતી પાક પર જોવા મળી રહી છે. ખાસ કરીને આંબા પર આવેલી નાની કેરીઓ એટલે કે મરવા ભારે પવનને કારણે જમીન પર પડી ગયા છે. આ કારણે ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બાગાયતી પાકમાં નુકસાનની ભીતિ વધુ વકરી રહી છે. હાલ ઘઉં અને ચણાની કાપણીની સીઝન ચાલી રહી છે. એવામાં કમોસમી વરસાદ ખાબકતા તૈયાર પાકને પણ નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી એક થી બે દિવસ સુધી માવઠાની અસર યથાવત રહેવાની શક્યતા છે. જેને લઈને ખેડૂતોમાં વધુ ચિંતા વ્યાપી છે. જલવાયુ પરિવર્તનના કારણે આવી અચાનક હવામાન ફેરફારો ખેડૂતો માટે મોટો પડકાર બની રહ્યા છે. સરકાર દ્વારા સહાય મળે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે.
