એરપોર્ટના રન વે પર આગ લાગતા અફરાતફરી,
સુરત થોડીવારમાં જ ટેક ઓફ થવાની હતી ફ્લાઈટ,
તણખાથી ઘાસમાં આગ, 2 કલાક રનવે બંધ
2 ફ્લાઇટ રદ, 3 ડાયવર્ટ, 8 મોડી
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે નજીક ઘાસમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. તો બનાવની જાણ થતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. તો રનવે પર લાગેલી આગને લઈ કેટલીક ફ્લાઈટો ડાયવર્ટ કરવી પડી હતી.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે 29 મે એ બપોર બાદ અચાનક રનવે નજીક આવેલા ઘાસમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રનવે પર એક ફ્લાઈટ હતી અને તે ટેક ઓફ થાય તે પહેલા જ આ ઘટના બની હતી. બાદમાં આગ કાબૂમાં આવી ગઈ હતી અને રનવે ઓપરેશનલ ચાલુ થઈ ગયું છે. ફલાઇટની અવર જવર શરૂ થઈ ગઈ છે. સુરત-દિલ્હી 2 કલાક 51 મિનીટ મોડી રવાના થઈ હતી. તથા 3 ફ્લાઇટ-હેલિકોપ્ટરને ડાઇવર્ટ કરાયાં હતાં. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત દિલ્હી ફ્લાઈટ એરપોર્ટના રનવે પર હતી અને આગની ઘટના બનતા તે ટેક ઓફ કરી શકી ન હતી. ત્યારબાદ એક હેલિકોપ્ટર લેન્ડિંગ માટે આવ્યું હતું જોકે તેને હજીરા હેલીપેડ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વેન્ચુરાની ફ્લાઈટ પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. રનવે નજીક આગ લાગી હોવાથી ફ્લાઇટ ટેક ઓફ કે લેન્ડ થઈ શકે નહીં. જેના પગલે ત્યારબાદ આવતી 3 ફ્લાઈટને પણ અસર પહોંચી હતી. ફાયરની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. દરમિયાન એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત હૈદરાબાદની ફ્લાઈટ પણ સુરત પહોંચી ગઈ હતી જેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ બેંગ્લોર સુરતની ફ્લાઈટને પણ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી. રનવે નજીકના ઘાસમાં જ આગ લાગી હોવાના કારણે હેલિકોપ્ટર, વેન્ચુરાની ફ્લાઈટ, એર ઇન્ડિયાની ફ્લાઈટોને આકાશમાં ચક્કર લગાવ્યા બાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. તો આ અંગે એરપોર્ટના ડિરેક્ટર આનંદ શર્માએ જણાવ્યું હતું કે, દોઢ વાગ્યા આસપાસ ઓપરેશનલ એરિયામાં ઘાસવાળા વિસ્તારમાં આગ લાગી હતી. આગ બર્ડ હિટથી બચવા માટે વપરાતી ગેસ ગનમાંથી નીકળેલા સ્પાર્કના કારણે લાગી હતી. રનવે સુધી આગ ન ફેલાય તે માટે તત્કાલ પગલાં લઈ રનવે પોણા ત્રણ વાગ્યા સુધી બંધ રાખવો પડ્યો હતો.