સુરતમાં હત્યાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
નશેડીને નશો કરવા પૈસા ન આપતા હત્યાથી રોષ
ગૃહમંત્રી ઉપર શાબ્દિક રીતે આકરા પ્રહાર કરીને સૂત્રોચ્ચાર કર્યા
કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષના યુવકની જાહેરમાં હત્યા કરવાની ઘટનાને લઈને સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. નજીવી બાબતે જાહેરમાં હત્યા કરી નાખવાની બનતી ઘટનાને લઈને આજે કોંગ્રેસ દ્વારા સુરતમાં પદયાત્રા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા.
સુરત શહેરમાં દિવસેને દિવસે વધતી ગુનાખોરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી ઉપર શાબ્દિક રીતે આકરા પ્રહાર કરીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. શહેરની અંદર જે નશાખોરી વધી રહી છે તેના માટે પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા ન હોવાની ફરિયાદો ઉઠી કરી હતી, મોટાભાગના કિસ્સામાં યુવકો નશાની હાલતમાં જ ઘટનાને અંજામ આપતા હોવાનું વારંવાર બહાર આવતું હોવા છતાં પણ શહેરની અંદર નશાખોરીના બજારને રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ થઈ રહી છે જેવા શાબ્દિક પ્રહાર કર્યા હતા.