મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે
મનપાની આઈસીસીસી બિલ્ડીંગમાં મુખ્યંત્રીએ કોર્પોરેટરો સાથે બેઠક કરી
પાલિકાના 435.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતાં. મનપાની આઈસીસીસી બિલ્ડીંગમાં મુખ્યંત્રીએ કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવાર 26 જુલાઈ, 2025 ના રોજ સુરતની મુલાકાતે આવ્યા છે. મુખ્યમંત્રીએ પાલિકાની આઈસીસીસી બિલ્ડિંગમાં તમામ કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરતના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યત્વે ખાડી પૂર, ટીપી સ્કીમ એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ અને જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ખાડી પૂરના કાયમી નિરાકરણ માટે ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરશે. આ માટે બોક્સિંગ, સફાઈ અને દબાણ હટાવવા જેવા પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ હતી, જેમાં રાજ્ય સરકાર આર્થિક સહાય પૂરી પાડશે તેમ જણાવાયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં કોર્પોરેટરો સાથે બે તબક્કામાં બેઠકો યોજી હતી. પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ, તેમણે તાત્કાલિક અન્ય વિસ્તારોના કોર્પોરેટરો સાથે બીજા તબક્કાની બેઠક શરૂ કરી હતી. મુખ્યમંત્રી સ્થાનિક સમસ્યાઓ પર સીધો સંવાદ સાધી રહ્યા છે. તો બેઠકોના દોર વચ્ચે જ મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકાના 435.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતું. શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રી 73 કરોડના કામોનું લોકાર્પણ અને 362.45 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કર્યુ હતું.
