વાવ થરાદના દિયોદરના લીલાધર ગામે વીજળી પડતા આગ લાગી.
ખેડૂત ભારમલ સોલંકીના ખેતરમાં લાગી આગ.
અંદાજે 2500 થી 3000 પૂળાનો જથ્થો બળીને ખાખ.
વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના લીલાધર ગામે મોડી રાત્રે વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા વચ્ચે ખેતરમાં રાખેલા ચારાના પૂળામાં આગ લાગી હતી. વીજળી પડવાને કારણે ભભૂકી ઉઠેલી આ આગમાં હજારો પૂળા બળીને ખાખ થઈ ગયા હતા.
ઘટના વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના લીલાધર ગામના ખેડૂત ભારમલભાઈ સોલંકીના ખેતરમાં બની હતી. અંદાજે 2500થી 3000 જેટલા ચારાના પૂળામાં વીજળી પડતાં આગ લાગી હતી, જેના કારણે ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે. આગ લાગવાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. થરાદ અને ભાભર ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરની ટીમે પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો
મોડી રાત્રે આવેલા તોફાની પવન અને વીજળીના કારણે જિલ્લામાં અનેક જગ્યાએ નુકસાનની ઘટનાઓ સામે આવી રહી છે. લીલાધર ગામે બનેલી આ ઘટનાએ ખેડૂતોમાં ચિંતા વધારી છે, કારણ કે ચારાનો મોટો જથ્થો નાશ પામ્યો છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ચારાના મોટા જથ્થાને નુકસાન થતાં ખેડૂતને આર્થિક ફટકો પડ્યો છે. વાવ-થરાદ જિલ્લામાં કુદરતી આફતથી ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
