સુરેન્દ્રનગરના ચોટીલામાં મનરેગા યોજનાના કૌભાંડનો કેસ
પોલીસે દોઢ વર્ષે 20 માંથી 12 આરોપીઓને પકડી કાર્યવાહી કરી
પીપરાળી ગામે વર્ષ 2018 થી 2022માં થઇ હતી છેતરપિંડી
મનરેગા યોજના અંતર્ગત છેતરપિંડી કેસમાં પોલીસે કરી કાર્યવાહી
તળાવ, કુવા ઊંડા કરવાની કામગીરીમાં નકલી દસ્તાવેજો ઉભા કર્યા
સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે વર્ષ 2018 થી 2022 દરમ્યાન ચાર કામમાં 26 લાખથી વધુની ગેરરિતી આચરી મનરેગા યોજનામાં કૌભાંડ થયું હોવાનું તંત્રની તપાસમાં ખુલતા ડીસેમ્બર 2023 માં થયેલ એફઆઇઆર બાદ દોઢ વર્ષે પોલીસે 12 શખ્સોને પકડી કાર્યવાહી હાથ ધરતા ચકચાર જગાવી છે.
પિપરાળી ગામે રાષ્ટ્રીય રોજગાર યોજનાના કાયદા હેઠળ ૨વર્ષ 2018 થી 2022 દરમ્યાન ત્રણ કૂવા બનાવવા અને એક જૂનું તળાવ ઊંડુ ઉતારવાની રૃ. અંદાજિત 26 લાખના કામોની મંજૂરી મળી હતી. આ કામમાં તાલુકા પંચાયતનાં મનરેગા શાખામાં કામ કરતા કેટલાક ટેકનીકલ, નોન ટેકનીકલ કર્મચારીઓ તથા સરપંચ, તલાટી સહિતનાં લોકોએ મિલીભગત કરી ગેરરિતી આચરી કૌભાંડ આચર્યું હોવાની અરજી બાદ થયેલી તપાસ દરમિયાન લોકપાલ દ્વારા જિલ્લા કક્ષાએ આપેલા અહેવાલમાં કામગીરીમાં ગેરરિતી થયાનું જણાવ્યું હતું. પિપરાળી ગામે મનરેગાની કામગીરીમાં થયેલ કથિત કૌભાંડમાં ચોટીલા તાલુકા પંચાયતમાં નરેગા શાખામાં કામ કરતા તત્કાલીન કેટલાક કર્મચારીઓ અને ગ્રામ પંચાયત તલાટી, સરપંચ સહિતનાઓની જવાબદારી અને સંડોવણી બદલ તમામ વિરૃધ્ધ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી એ.કે.ઠક્કર એ આઇપીસી – 406,408,409,468,471,477, અ ૩૪, મુજબ 20 લોકો સામે ડીસેમ્બર 2023 માં ચોટીલા પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. એફઆઇઆર બાદ દોઢ વર્ષે પોલીસે 12 શખ્સોને પકડી કાર્યવાહી હાથ ધરતા ચકચાર જગાવી છે.
ગેરરીતિનાં ગુનામાં દોઢ વર્ષ બાદ બે દિવસ પૂર્વે તપાસ અધિકારી વિશાલ રબારી ડીવાયએસપી લીમડી દ્વારા તાલુકા પંચાયત મનરેગા શાખામાં તત્કાલીન કામ કરતા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર નિલેશભાઇ એમ અલગોતર, ઇન્ચાર્જ ટેકનિકલ આસિસ્ટન્ટ ડાયાભાઇ એમ. જીડીયા, જી.આર.એસ છગનભાઇ એમ. સેજાણી, તલાટી કમ મંત્રી અસ્લમભાઇ સુમરા, તત્કાલીન સરપંચ દુદાભાઇ ચાવડા, મટીરીયલ સપ્લાય વિનુભાઇ પરમાર, તેમજ મેટ કારકુન સાકરીયા ડાહ્યાભાઇ, હરેશભાઇ, મુકેશભાઇ, ભરતભાઇ, દિનેશભાઈ, હરેશભાઈની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી સ્થળ ઉપર તપાસ સહિત નિવેદનો સહિતની કામગીરી હાથ ધરી હતી. ચોટીલા પંથકમાં મનરેગા કાયદા હેઠળ કથિત કૌભાંડ અને ગેરરીતિઓ પાશેરામાં પૂણી સમાન છે. તેમજ થોડા સમય પૂર્વેનાં મનરેગા હેઠળ તાલુકામાં થયેલા વનિકરણમાં પણ જિલ્લા બહારની મટીરીયલ્સ સપ્લાય એજન્સી ગોઠવી મોટો ભ્રષ્ટાચાર આચર્યાની પણ ચણભણ તાલુકામાં છે. સરકાર દ્વારા જો સત્ય અને ન્યાયિક છેલ્લા કેટલાક વર્ષોનાં થયેલ કામો અંગે તપાસ હાથ ધરાય તો અનેકનાં પગ તળે રેલો આવે તેમ હોવાનું કહેવાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી