અરવલ્લીના માલપુર-જીતપુર પાસે વહેલી સવારે બનેલી દુર્ઘટના.
દાહોદથી અંબાજી જતા પદયાત્રી સંઘને પાછળથી આવેલા વાહને ટક્કર મારી.
હિટ એન્ડ રન અકસ્માતમાં સુરેશ ડામોર અને દિનેશ સિસોદિયા નામના બે પદયાત્રીઓના મોત.
એક પદયાત્રી ગંભીર રીતે ઘાયલ, વધુ સારવાર માટે મોડાસા ખસેડાયા.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં જીતપુર પાસે આજે વહેલી સવારે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. દાહોદથી માં અંબાના દર્શનાર્થે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓના સંઘને એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદનો પદયાત્રી સંઘ જ્યારે જીતપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા એક અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે ૪૨ વર્ષીય સુરેશ વાસના ડામોર અને ૪૫ વર્ષીય દિનેશ રાઠોડ સિસોદિયાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ માલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સીએચસી ખાતે ખસેડ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે મોડાસા રેફર કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.હાલ માલપુર પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે
