નવસારી અંબિકા નદીના પૂર વચ્ચે ઝીંગાના તળાવ પર ફસાયેલા લોકો
30થી વધુ લોકોનું આજે એરલિફ્ટ કરીને સફળતાપૂર્વક રેસ્ક્યુ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામમાં અંબિકા નદીના પૂર વચ્ચે ઝીંગાના તળાવ પર ફસાયેલા 30થી વધુ લોકોનું આજે એરલિફ્ટ કરીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ગઈકાલે અંબિકા નદીના જળસ્તરમાં થયેલા અચાનક વધારાને કારણે ઝીંગા તળાવની સાઇટ પર કામ કરતા 30થી વધુ લોકો ચારેય તરફથી પાણીમાં ઘેરાઈ ગયા હતા. સ્થળ પરથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન રહેતા તેઓ કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. ફસાયેલા લોકોએ વીડિયો વાયરલ કરીને વહીવટી તંત્ર સમક્ષ મદદની અપીલ કરી હતી. જે બાદ તંત્રે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી એર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. કઠિન પરિસ્થિતિ વચ્ચે એક પછી એક તમામ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનથી ફસાયેલા લોકો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે….
