સોનગઢના એકતા નગરમાં ગટરની સમસ્યાથી લોકો પરેશાન
ડ્રેનેજ લાઇન ચોકઅપ થતાં રસ્તા પર ફરી વળ્યું ગંદુ પાણી
દુષિત પાણીથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય
સોનગઢના એકતા નગરમાં ગટરના ગંદા પાણીથી રહીશો ત્રસ્ત: બાળકોના સ્વાસ્થ્ય સામે જોખમ!
સોનગઢના એકતા નગરમાં ગટરની ગંભીર સમસ્યાએ સ્થાનિક રહીશોનું જીવન દુષ્કર બનાવી દીધું છે. વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાના કારણે ગંદુ અને દુષિત પાણી રસ્તા પર ફરી વળ્યું છે, આ વિસ્તારમાં “માનવતા જાગૃત ટ્રસ્ટ” આવેલું છે, જ્યાં નાના બાળકો રહે છે.
આસપાસમાં ફેલાયેલી ગંદકી અને ખુલ્લી પાઇપલાઇનને કારણે દૂષિત પાણી રોડ પર વહેતું હોવાથી ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. બાળકોના સ્વાસ્થ્યને લઈને રહીશોમાં ભારે ચિંતાનો માહોલ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સામાન્ય દિવસોમાં તો તકલીફ હોય જ છે, પરંતુ વરસાદી દિવસોમાં આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીનું મિશ્રણ થવાથી ઘરોમાં રહેવું પણ મુશ્કેલ બની જાય છે. અગાઉ નગરપાલિકા દ્વારા અહીં સફાઈ કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર કામચલાઉ સાબિત થઈ છે. કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં, પાલિકાતંત્ર કાયમી સમાધાન કરવામાં આળસ દાખવી રહ્યું હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. સોનગઢ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લે અને ગટર લાઇનું રિપેરિંગ કરી કાયમી ઉકેલ લાવે, તેવી ઉગ્ર માંગ એકતા નગરના રહીશો કરી રહ્યા છે.
