પહેલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત
ભાવનગરના 2 અને સુરતના 1 વ્યક્તિનો સમાવેશ
શૈલેષભાઈનો મૃતદેહ સુરત લવાશે
મુંબઈથી સાંજ સુધીમાં આવશે પાર્થિવ શરીર
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા છે, જેમાં મૂળ સુરતના અને હાલમાં મુંબઈ રેહતા યુવકનું મોત થયું છે.
22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયા તેમના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા જેની તસવીરો હાલ સામે આવી છે.પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતો હતો ત્યારે જ અચાનક આંતકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેશભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે. જ્યાં જન્મદિવસના એક દિવસ પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા.પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષનું આતંકી હુમલામાં મોત નીપજતા મૃતદેહને આજે સાંજ સુધીમાં સુરત લાવવામાં આવશે અને અહીં જ તેમની અંતિમક્રિયા કરવામાં આવશે. મૃતક શૈલેષના પિતા પણ સુરત આવવા માટે રવાના થઈ ગયા છે.44 વર્ષીય શૈલેષભાઇ હિંમતભાઇ કળથિયા તેમની પત્ની શીતલ કળથિયા, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા. અચાનક આંતકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથિયા પરિવારના ચાર સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પરિવારના અન્ય સભ્યો સહીસલામત છે.