સુરત કતારગામમાં ધોળા દિવસે યુવકની હત્યા
જૂની અદાવતને પગલે ખૂની ખેલ ખેલાયો હોવાની ચર્ચા
46 વર્ષીય વિપુલ મંડાણીની હત્યા પાછળ જૂની અદાવત
સુરતના કતારગામ વિસ્તારમાં ધનમોરા રોડ પર આવેલી એક સોસાયટીમાં ધોળા દિવસે યુવકની હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતને પગલે આ ખૂની ખેલ ખેલાયો હોવાની ચર્ચા જોવા મળી હતી.
સુરતના કતારગામના ધનમોરા વિસ્તારમાં આવેલી જે. કે. પી. નગર સોસાયટીમાં આ ઘટના બની હતી. અહીં રહેતા વિપુલ કાનાણી નામના યુવક પર ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી વિપુલની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતાં. તો સ્થાનિકોના જણાવ્યા મુજબ 46 વર્ષીય વિપુલ મંડાણીની હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ભૂતકાળમાં થયેલા કોઈ ઝઘડા અથવા અણબનાવનું વેર રાખવા માટે હુમલાખોરોએ આયોજનબદ્ધ રીતે આ હુમલો કર્યો હોવાની શક્યતા છે. જોકે, ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. તો ઘટનાની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ફરાર થયેલા 3થી 4 આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે વિપુલના પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
