સુરતમાં પાલિકાના અધિકારી અને ભાજપ નેતાનો ત્રાસ
મિલકત અને દુકાનોના સીલિંગના વિવાદથી કંટાળેલ વૃદ્ધ દંપતિ
કલેક્ટરને લેખિત અરજી આપી ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગ કરી
સુરતમાં મિલકત અને દુકાનોના સીલિંગના વિવાદથી કંટાળેલા એક વૃદ્ધ દંપતિએ સુરત કલેક્ટરને લેખિત અરજી આપી ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગ કરતા ચકચાર મચી ગઈ છે.
સુરતના ભટાર વિસ્તારના રહેવાસી વૃદ્ધ દંપતિ શ્યામલાલ ગેલોત અને મધુબેન ગેલોતે સુરત કલેક્ટરને અરજી આપીને ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. દંપતિનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલતા મિલકત વિવાદ અને વહીવટી કાર્યવાહીના કારણે તેમનું જીવન અસહ્ય બની ગયું છે. અરજીમાં જણાવ્યા મુજબ પરિવારના અનેક સભ્યોના નિધન બાદ તેઓ એકલા પડી ગયા છે અને જીવનનિર્વાહ માટે આધારરૂપ રહેલી મિલકતને લઈને સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દંપતિનું કહેવું છે કે તેમની મિલકતના નિયમિતીકરણ માટે અરજી કરવામાં આવી હોવા છતાં લાંબા સમયથી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી.
વૃદ્ધ દંપતિએ સુરત મહાનગર પાલિકાના સંબંધિત વિભાગો પર આક્ષેપ કર્યો છે કે તેમની દુકાનોને પૂરતી નોટિસ અને યોગ્ય કારણો આપ્યા વગર સીલ કરવામાં આવી છે. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ કથળી ગઈ હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વૃદ્ધ દંપતિ દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો અંગે વહીવટી તંત્ર શું પગલાં ભરે છે અને તેમને ન્યાય અપાવવા માટે શું કાર્યવાહી કરવામાં આવે છે.
