રાજકોટ સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીઓને અંતિમ શ્વાસ સુધીની સજા.
જુલાઈ 2023માં ATS એ બાતમીના આધારે ત્રણેય આતંકીઓને ઝડપ્યા હતા.
અબ્દુલ શકુર અલી, અમન સિરાજ મલિક અને સાફન શહીદને સજા.
રાજકોટના સોની બજારમાંથી ઝડપાયેલા અલ-કાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે દરેક આરોપીને રૂ. 10,000નો દંડ પણ ફરમાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના સોની બજારમાંથી ઝડપાયેલા આ ત્રણેય આતંકીઓ ‘રાહ-એ-હિદાયત’ નામના ગ્રૂપ સાથે સંકળાયેલા હતા. તેઓ સોની બજારમાં નોકરી કરતા હતા. આ અંગે ગત 26 જુલાઈ, 2023ના રોજ ગુજરાત ATS (એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ)ને બાતમી મળી હતી કે, રાજકોટના સોની બજારમાં નોકરી કરતા અલ-કાયદા તંઝીમનો પ્રચાર કરતા ત્રણ શખસો ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. તેઓ મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ બાતમીના આધારે ATSએ આ આતંકીઓ પર વોચ ગોઠવી હતી.
એટીએસ દ્વારા વોચ ગોઠવી 31 જુલાઈ, 2023 ના રોજ ત્રણેય શખસોને ઝડપી પાડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેસની સુનાવણી દરમિયાન, સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને 10,000નો દંડ ફરમાવ્યો છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
