સુરત જિલ્લાનું પરિણામ 93.97 ટકા જાહેર થયું
ધો.12 સા.પ્રવાહનું રેકોર્ડબ્રેક 93.07 ટકા અને સાયન્સનું 83.51 ટકા રિઝલ્ટ
સાયન્સમાં 92.91 ટકા રિઝલ્ટ સાથે સતત બીજા વર્ષે મોરબી જિલ્લો અવ્વલ
સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને ધો-12 ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આજે સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે. પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં હતાં ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળામાં વધારો થતાં શિક્ષણમંત્રીએ ખુશી વ્યક્ત કરી છે .
ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે. ગત વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી. તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે. વ્હોટ્સએપ નંબર 6357300971 પર સીટ નંબર મોકલતા પરિણામ મળશે. સાથે જ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબ્લ્યુ.ડબ્લ્યુ.ડબ્લ્યુ.જી.એસ.ઈ.બી. ડોટ ઓ.આર.જી. પરથી પણ પરિણામ જાણી શકાશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળામાં વધારો થતાં શિક્ષણમંત્રીએ ખુશી વ્યક્ત કરી છે .
આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતાં. ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થયુ હતું. વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને એસ.આર. શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.